પ.પૂ શ્રી સદ્ ગુરુ રંગ અવધૂત મહારાજ વિષય ઉપર નિબંધ
જેના પુણ્ય પદે પૃથ્વી સૌભાગ્યવતી બની એવા શ્રી રંગ અવધૂત મહારાજનો જન્મ તાઃ– 21 /11/1898ના રોજ ગુજરાતના ગોધરા શહેરમાં થયો હતો તેમના બાળપણનું નામ પાંડુરંગ વળામે હતું એ પાંચ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું મરણ થયું હતું તેઓ જ્યારે આઠ વર્ષના હતા ત્યારે તેમને એક દિવ્ય પુરુષના દર્શન થયા હતા.જેમણે પાંડુરંગને પોથી વાંચવાની આજ્ઞા આપી હતી જેના થોડાક સમય બાદ એમના મામાએ એક પોથી આાપીને કહ્યું સંત સાંઈ બાબાએ મને આપેલી ગુરુચરિત્ર નામના ગ્રંથની આ દુર્લભ પોથી છે. દરરોજ પવિત્ર આસને બેસી ભકિતભાપૂર્વક એનો પાઠ કરજે.પાંડુરંગે પવિત્રતાના કડક નિયમો સાથે પોથીનો નિત્ય પાઠ શરૂ કર્યો. તેની સાથે સાથે પોતાની રીતે આસન , ધ્યાન , પ્રાણાયામ આદિ કરવાનું પણ ચાલુ રાખ્યું હતું.
યુવાવસ્થામાં મહાત્મા ગાંધીજીથી પ્રભાવિત થઈને તેઓ સ્વતંત્રતા ચળવળમાં જોડાયા હતા અને ગામડાઓમાં જઇને અસહકાર આંદોલન અને સત્યાગ્રહનો પ્રચાર કરતા. ગાંધીજીના સૂચન મુજબ જ તેઓ અમદાવાદમાં ગુજરાત વિધાપીઠમાં અભ્યાસ માટે દાખલ થયા હતા અને સ્નાતક થયા પછી શિક્ષકની નોકરી પણ સ્વીકારી હતી જોકે તેમના અર્ધચેતન મનમાં તો રામનામ ગૂંજતું હતું છેવટે 1923માં તેમણે નોકરી છોડી દીધી હતી.માતાએ લઞ્ન કરવાનો આગ્રહ કર્યો પણ તેમણે તે સ્વીકાર્યો નહિ અને જીવનભર બ્રહ્મચારી જ રહ્યા અને સંન્યાસી જીવન સ્વીકાર્યું નર્મદા નદીના કાંઠે નારેશ્વરને તપોભૂમિ બનાવીને તેઓ ત્યાં સ્થાયી થયા હતા.
એક વખત નર્મદાના કિનારે ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરમાં સૂતા હતા ત્યારે સ્વપ્નમાં પરમહંસ વાસુદેવાનંદ સરસ્વતીના દર્શન થયા અને તેમણે કહ્યું દત્તપુરાણના એકસો આઠ પારાયણ કર. તેમણે નર્મદાના તટે રણાપુરથી સાત માઇલ દૂર પ્રાચીન શિવાલય નારેશ્વરમાં એક લીમડા નીચે બેસીને દતપુરાણનું પારાયણ અને ઉપવાસ શરૂ કર્યા હતા ત્યાં તેમણે ચાર મહિના કઠોર સાધના કરી હતી અને માતૃસ્મૃતિ શૈલનું સ્મારક બનાવ્યું હતું.
શ્રીરંગ અવધૂત મહારાજે ગુજરાતી , સંસ્કૃત અને મરાઠી ભાષામાં ઉત્તમ ગ્રંથોની રચના કરી હતી.રંગ અવધૂત મહારાજના દત્તબાવની અને દત્તરક્ષાસ્તોત્ર ગ્રંથો પણ પ્રસિદ્ધ છે.એકવાર એ એમના એક ભકતને ઘરે ઉતર્યા હતા. ત્યારે તેમણે જોયું કે તેની પત્નીને ભૂત — પ્રેતની સતામણી થતી હતી. એટલે અનિષ્ટ તત્વ તથા કોઇ પણ પ્રકારના સંકટમાંથી મુકિત અપાવે એવા સ્તોત્રની રચના કરી એ રચના બાવન પંકિતઓમાં થઇ હતી એટલે એ દત્તબાવની તરીકે ઓળખાય છે.
શ્રી રંગ અવધૂત મહારાજનો શ્રી ગુરુલીલામૃત ગ્રંથ ગુરુકૃપાથી પ્રકટ થયેલા અધ્યાત્મ અને યોગ સાધના રહસ્યો અને ભગવત પ્રાપ્તિ માટે જરૂરી જ્ઞાન , ભકિત અને કર્મના સિદ્ધાંતોને વિશિષ્ટ રીતે ઉજાગર કરનારો મૂલ્યવાન ગ્રંથ છે. રંગ અવધૂત મહારાજે ચાતુર્માસના ચાર મહિનામાં જ ઓગણીસ હજાર કરતાંય વધારે દોહરાનો ભજનો અને સ્તોત્રો સાથેના આ ગ્રંથની રચના કરી હતી સહેજ પણ છેક છાક વિના , અત્યંત સુંદર મોતીના દાણા જેવા અક્ષરોમાં સુવાચ્ય રીતે લખાયેલ આ ગ્રંથ ધર્મશાસ્ત્રગ્રંથમાં યશકલગી સમાન છે.
પ.પૂ.શ્રી રંગ અવધૂત મહારાજે ખૂબ સરળ પરંતુ સરસ સૂત્ર આપ્યું છે. પરસ્પર દેવોભવ અર્થાત તમારી સાથે જોડાયેલી પ્રત્યેક વ્યકિત તમારી સાથે જોડાયેલો દરેક જીવ દેવ છે અને તેને એ રીતે જૂઓ , તેને એ રીતે માન આપો. જો આ સૂત્ર સમજાય અને જીવનમાં ઉતારવામાં આવે તો દુનિયામાં કદાચ કોઈ વાદ — વિવાદ કે ઝઘડા રહે નહીં.
શ્રી રંગ અવધૂત મહારાજ 19 /11/1968 ( કારતક વદ અમાસ ) ના રોજ હરદ્વારમાં ગંગા તટે બ્રહ્મલીન થયા હતા.નારેશ્વર ખાતે 21/11 / 1968ના રોજ તેમના નશ્વર દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.આજે નારેશ્વર તીર્થસ્થાન રંગ અવધૂતજી અને દત્તાત્રેય ભગવાનની ઉપાસના માટે જાણીતું છે.
માં રેવા ના તપસ્વી …. માં ગંગા ના યશસ્વી …. નારેશ્વર ના નાથ….. ભગવાન દત્તાત્રેના અવતાર એવા સદ્ ગુરુ સંત શ્રી અવધૂત મહારાજ ને મારા શત શત વંદન……
ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુદેવ દત્ત